{ લગભગ ચોક્કસ સમયાંતરે મળતી રહેતી શ્રી જીજ્ઞેશ ચાવડાની ગદ્ય પદ્ય રચનાઓ અક્ષરનાદ પર આપણે પહેલા પણ માણી છે, આજે તેમના તરફથી  શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે, તેમના સૂક્ષ્મ ભેદ વિશેની થોડીક વાત.  આ મહત્વપૂર્ણ પરંતુ અછૂતા વિષય પર સામયિકોમાં – બ્લોગજગતમાં સમયાંતરે ચર્ચાઓ થતી રહે છે. શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધાના તફાવત અને તેની સૂક્ષ્મ ભેદરેખા વિશે અહીં  તેમણે વિશદ છણાવટ કરી છે. તેમના વિચારોની સ્પષ્ટતા અને ચિંતનનું ઊંડાણ ખરેખર  વિષયને રસમય બનાવી દે છે. શ્રી જીજ્ઞેશ ચાવડાનો સંપર્ક +91 97277 77404 પર કરી શકાય છે. }

શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના મહાસાગરમાં આજે પ્રત્યેક માનવ ભવસાગર પાર ઉતરવાની મહેચ્છા કે ઝંખના ઘરાવે છે.

વઘારે પડતી શ્રદ્ધા બાજુની દોટમાં માનવ કોમ્પુટર કે અન્ય જીવન જરૂરીયાતની વસ્તુ અતિ ઉત્સાહ અને ઉમંગથી વસાવે છે. અને એજ ચીજવસ્તુ આગળ શ્રીફળ વધેરી ચાંદલા કરતા જોવા મળે છે. આ પ્રક્રિયા આપણને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બંન્ને ના દર્શન કરાવે છે. જે નવી વસ્તુ છે, તેનું પૂજન અર્ચન જરૂરી છે. જેને આપણે શ્રદ્ધા કહેશું અને જો તેનું પૂજન અર્ચન નહી કરવામાં આવે તો વસાવેલી સવલત યોગ્ય વળતર નહી આપે. એવા વિચાર ને આપણે અંધશ્રદ્ધા કહીશું, અને આમા વર્તનારા મહામાનવોને આપણે ક્રમશ: બે વર્ગમાં વિભાજીત કરીશું – શ્રદ્ધાળુ અને અંધશ્રદ્ધાળુ.

આજે આપણે મહામાનવોની અંઘશ્રદ્ધા વિષે શક્ય તેટલું સંક્ષીપ્તમાં વિવરણ કરીશું, પહેલાંના યુગમાં લોકો વઘુ અંધશ્રદ્ધાળુ હતા તથા અત્યારે ભણતરનું વઘતું જતુ પ્રમાણ માણસને તેમાંથી મુક્ત કરી રહ્યું હોય તેવું પ્રથમ દ્રષ્ટીએ જોવા જાણવા અને માણવા મળે છે, પરંતુ આ શું? જેમા ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે તેમ અંધશ્રદ્ધાના પ્રવર્તકો તેનો દૂરૂપયોગ કરીને આપણને અંધશ્રદ્ધાની ઊંડી ખાણ કે જેમાંથી બહાર નીકળવું મૂશ્કેલ જ નહી પરંતુ અશક્ય છે, તે તેરફ ખેચાણ ઉત્પન્ન કરી રહ્યાં છે. અને આપણે તેની પોચી ચીકણી માટીમાં ઘસડાતા જઈએ છીએ. જેના થોડા ઉદાહરણ નીચે આપેલા છે.

તમે ઘણી વખત મદારીનો ખેલ જોયો હશે. જેમાં નાગદાદાના કંડીયા પર રૂ મૂકી કહે છે. “દાદા આના પર ફૂંકા મારો” અને જોત જોતામાં તે ‘રૂ’ સળગી ઉઠે છે, અને આપણને નમસ્કાર કરી રૂપિયા ફેંકીએ છીએ, પરંતું ‘રૂ’ એટલા માટે સળગે છે કારણ કે, તેમાં ફોસ્ફેટ હોય છે. અને ઓક્સિજનના સંપર્કમાં આવતાંની સાથે સળગે છે. તેમજ મદારી આપણા હાથમાં મંત્રેલી ઘૂળ આપે છે અને મુઠ્ઠી વાળવા કહે છે. થોડા સમય બાદ આપણા હાથની આજુબાજુ સુગંઘ આવે છે. અને તે કહે છે દાદાને આપે આપેલા રૂપિયાનો ઘૂપ પહોંચી ગયો છે. પરંતુ, જ્યારે તે આપણને ઘૂળ આપે છે ત્યારે તેનો બીજો હાથ ની આંગળીઓ અત્તરવાળી હોય છે. જે આપણી હથેળીની આજુબાજુ અડકે છે, જેથી ત્યાં સુગંઘ આવે છે.

શ્રીફળમાંથી કંકુ, ચુંદડી વગેરે નીકળતા પણ આપે જોયા હશે. જે શ્રીફળની આંખમાંથી ત્યાં ઘુસાડી ફેવીકોલથી તેના છાલાને ચીપકાવી દેવામાં આવે છે, કંકુના પગલા, લીંબુ કાપવાથી તેમાંથી નિકળતું લોહી તે પણ ક્રમશ: હળદર અને સોડાના મિશ્રણથી કંકુના પગલાં પડે છે અને લીંબુ ને કાપવામાં ઉપયોગમાં લેવામાં આવતું ચપ્પુ પર એસિડીક દ્રાવણ લગાડેલું હોય છે આ બઘું જોઈને એ ધૂતારાને આપણે નમસ્કાર કરી રૂપિયાનો વરસાદ કરીએ છીએ.

આજે ચાર રસ્તાની ચોકડી પર ઉતાર કરી મૂકેલ લાલ ઘાગાથી વીંટેલ નાળિયેર કે ખીલી મારેલું લીંબુ અને તેને ફરતે પાણીથી કરેલ સર્કલ જોઈ ભણેલો ગણેલો અને અંધશ્રદ્ધામાં નહી માનનારો માનવ પણ તે સર્કલ થી બહાર ચાલે છે.

ઘણાં તો સામાન્ય માથાના દુખાવાને પ્રથમ નજરે એવો વિચાર કરે છે કે નજર લાગી હશે કે કાઇક કસમયે અજાણ જગ્યા પર પગ પડ્યો હશે. બીજી બાજુ હાથની આંગળીયોમાં ગ્રહો ના નંગા પહેરનારા અત્યારે ઠેર ઠેર જોવામળશે, કદાચ એ પણ સાચું હશે પરંતું દસ માંથી આઠ આંગળીમાં નંગા પહેરનાર ને તમે શું કહેશો, શ્રદ્ધાળુ કે અંધશ્રદ્ધાળુ?

હાથની ચાલાકી અને ટેકનોલોજીનો દૂરઉપયોગ આજે માનવોને ડરાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે. એક ગુરુ ના બે શિષ્યો અત્યારે એકા મહાન જાદુગર અને બીજો ભગવાન તરીકે પૂંજાય છે.

હવે વાત કરીએ કદી સપ્તાહમાં એકવાર ભૂલથી સ્નાન કરતાં, આપણા જૂના અને જાણીતા, પોતાની જાતને આદ્યશક્તિના ઉપાસક તરીકે ગણાવતા ભૂવાઓની. સંગીતની શક્તિથી જો દિપક રાગથી દિપ પ્રજ્વલીત થતો હોય અને મલ્હાર રાગથી વરસાદ વરસતો હોય તો શું ડાકલા ના તાલથી ભૂવાને ઘ્રૂજારી ના આવી શકે પરંતુ માનવીને એ નથી સમજાતું ને કે તેમાં માતાજીના પ્રવેશને પ્રાધાન્ય આપી, તે જેમ કહે તેમા કરવા તૈયાર થઈ જાય છે અને કેટલાક તો પોતાની પત્ની કે સંતાનની હત્યા કરતાં પણ ખચકાતા નથી. ઘણા તાંત્રીકને કાળા અડદના દાણા બીજા પર બીજા પર ફેંકી મારી નાંખવાની ધમકી આપ્યાના ઉદાહરણ તમે જરૂર સાંભળ્યા હશે. એ જોઈ કે સાંભળી ને આપણે તે વ્યક્તિથી ડરવા લાગીએ છીએ અને તેજ આપણો ગુરુ બની જાય છે.પરંતુ તે જે દાણા ફેંકે છે તેના પર પોઈઝન (ઝેર) લગાવેલ હોય છે.જે માણસના શરીરને અડકતા તેનું મૃત્યુ પણ થઈ શકે છે. હવે આપણને એ વિચાર ચોક્ક્સથી આવશે કે તો પછી તાંત્રીકને તે અડદના દાણાની અસર કેમ ન થઇ? પરંતુ તે પણ એકા હાથ ચાલાકી છે. તેણે પોતાના હાથ પર એલોવેરાના રસના પાંચ છ પડ ચડાવેલા હોય છે. જેથી તેના પર અમૂક સમય સુઘી તે ઝેરની અસર થતી નથી. અને આપણે એવા ગઠીયાઓને ચમત્કારી ગણી પ્રણામ કરીએ છીએ. જીભ કાપવી, ગાલમાં સળીયા આરપાર કરવાં આ પણા આપણને ડરાવવાની એક કળા છે.

ઘણી વખત સળગતા દેવતા પર ચાલતા લોકો પણ જોયા હશે, તેનું પણ એક કારણ છે, અગ્નિ ત્રણ સેંકડ સુઘી આપણને દઝાડતી નથી, અને આપણે સામાન્ય માણસ પણ તેના પર ચાલી શકીએ છીએ, અને જો આ સાચુ હોય તો તે માણસ આરામથી તેના પર કેમ ન ચાલી શકે? તથા ઉકળતા તેલમાંથી પુરી કાઢી પોતે સાચા છે એવું સાબીત કરે છે. તે તેલ ઉકળતુ એટલા માટે દેખાય છે કારણા કે તેમાં લીંબુનો રસ નાંખ્યો હોય છે.

આવા કેટલાય બનાવટી ચમત્કારીને આપણે તેના ચમત્કારોમાં ગૂંચવી રાખ્યાં છે. ભગવાન સાથેની આપણી અનન્ય શ્રદ્ધા અનંત કાળોથી ચાલી આવી છે. જો આપણને તેનામાં શ્રદ્ધા હોય તો પછી આ બઘા ધૂતારા પાછળ દોટ લગાડવાથી શું ફાયદો? ઘણાં એવું માને છે કે ભગવાન નથી પણ તે વિજ્ઞાન છે. મતલબ તો એક જ છે, કે આ ગ્રહોની ગતિ સજીવા સૃષ્ટિ વગેરે ને ચલાવતી કોઈક શક્તિ તો જરૂર છે અને જેણે ઘણા ભગવાન માને છે અને ઘણા વિજ્ઞાન. અંતમાં માત્ર આટલું જ કહીશ:

“શ્રદ્ધાનો દિપક સદા પ્રજ્વલિત રહે આપણા અંતરમાં,
અંધશ્રદ્ધાનો ક્ષણીક વિચાર કદી ના આવે જીવનમાં.”

Share this article... spread the word
  • Digg
  • StumbleUpon
  • Facebook
  • Yahoo! Buzz
  • Twitter
  • Google Bookmarks
  • Orkut
  • del.icio.us
  • Google Buzz
  • Technorati