श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય – પુરૂષોત્તમયોગ
Sep 10th
ॐ श्रीपरमात्मने नमः '''अथ पञ्चदशोऽध्यायः''' श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम् । छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥१५- १॥
શ્રી ભગવાન બોલ્યા; જેના મૂળ ઉર્ધ્વ છે (સંસાર વૃક્ષના મૂળ એવા પ્રભુ શ્રી વિષ્ણુ સર્વેથી ઉપર અને સર્વેશક્તિમાન છે તે) અને જેની શાખાઓ નીચે તરફ ફેલાયેલી છે (બ્ર્હ્માજી ગૌલોકની નીચે તરફ બ્રહ્મલોકમાં છે, તે સર્વે સંસારની મુખ્ય શાખા છે) એવા અવિનાશી સંસાર વૃક્ષ, જેના પત્તા વેદો છે, તેને જે પુરૂષ મૂળ થી સત્વ સુધી જાણે છે તે વેદના તાત્પર્યને જાણવા વાળો છે.
अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा
गुणप्रवृद्धा विषयप्रवालाः ।
अधश्च मूलान्यनुसंततानि
कर्मानुबन्धीनि मनुष्यलोके ॥१५- २॥
આ સંસાર વૃક્ષની ગુણોના જળથી સિંચન પામી વિકસેલી, વિષય ભોગ રૂપી કુંપણો વાળી, દેવ મનુષ્ય તથા તીર્યક રૂપી શાખાઓ સર્વત્ર ફેલાયેલી છે, તથા મનુષ્યને કર્મ અનુસાર બાંધનારી મમતા, અહં અને વાસના રૂપી જડો પણ બધે વ્યાપ્ત છે.
न रूपमस्येह तथोपलभ्यते
नान्तो न चादिर्न च संप्रतिष्ठा ।
अश्वत्थमेनं सुविरूढमूल-
मसङ्गशस्त्रेण दृढेन छित्त्वा ॥१५- ३॥
આ સંસારનું સ્વરૂપ જેવુ જોવામાં સાંભળવામાં આવે છે તેવુ તત્વજ્ઞાન થયા પછી નથી જણાતુ કારણ કે તેની શરૂઆત કોઈને ખબર નથી અને તેનો અંત ક્યારે હશે તેની કોઈ માહીતી નથી. વાસ્તવમાં તે શણ ભંગૂર અને નાશવંત છે, એટલે વાસના, મમતા અને અહં જેવા દ્રઢ મૂળો વાળા આ સંસાર વૃક્ષને દ્રઢ વૈરાગ્ય જ કાપી શકે.
ततः पदं तत्परिमार्गितव्यं
यस्मिन्गता न निवर्तन्ति भूयः ।
तमेव चाद्यं पुरुषं प्रपद्ये
यतः प्रवृत्तिः प्रसृता पुराणी ॥१५- ४॥
તે પશ્ચાત પરમ પદ સ્વરૂપ પરમેશ્વરને શોધવા જોઈએ, જેમની પાસે ગયા પછી કોઈ સંસાર રૂપી ચક્રમાં પાછુ આવતુ નથી તે આદિ પુરૂષ નારાયણ ની શરણ માં છું તેમ નિશ્વય કરી પરમેશ્વરનું ધ્યાન કરવું જોઈએ.
निर्मानमोहा जितसङ्गदोषा
अध्यात्मनित्या विनिवृत्तकामाः ।
द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञै-
र्गच्छन्त्यमूढाः पदमव्ययं तत् ॥१५- ५॥
જેના માન અને મોહ નષ્ટ થઈ ગયા છે, જેની આસક્તિનો દોષ હણાઈ ગયો છે, જેને આધ્યાત્મની નિત્ય સ્થિતિ છે અને જેના મનની કામનાઓ નષ્ટ થઈ ગઈ છે, તે સુખ દુઃખના દ્વંદ્વ માંથી મુક્ત, સાચા જ્ઞાનની પ્રાપ્તી થવાથી અવિનાશી પરમ પદની પ્રાપ્તિ કરે છે.
न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः ।
यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ॥१५- ६॥
પ્રકાશના પરમ ધામને, જેને સૂર્ય ચંદ્ર કે અગ્નિ નથી પ્રકાશિત કરી શક્તા, ત્યાં પહોંચવાથી મનુષ્યને પરમ પદની પ્રાપ્તિ થાય છે.
ममैवांशो जीवलोके जीवभूतः सनातनः ।
मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति ॥१५- ७॥
આ દેહમાંનો જીવાત્મા મારો જ સનાતન અંશ છે, અને તે જ આ પ્રકૃતિમાં મન અને પાંચેય ઈન્દ્રીયોને આસક્ત કરે છે.
शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः ।
गृहित्वैतानि संयाति वायुर्गन्धानिवाशयात् ॥१५- ८॥
પવન જેમ સુગંધને તેના સ્થાનેથી ગ્રહણ કરે છે તેમ દેહનો સ્વામી આત્મા પણ જે શરીરનો ત્યાગ કરે તેની આ બધી મન અને ઈન્દ્રીય વાસનાઓ તથા ઈચ્છાઓને ગ્રહણ કરે છે.
श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं घ्राणमेव च ।
अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते ॥१५- ९॥
આ જીવાત્મા શ્રોત્ર, ચક્ષુ ત્વચા રસ તથા ઘ્રાણ અને મન ના સહારે વિષયોનું સેવન કરે છે.
उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितम् ।
विमूढा नानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः ॥१५- १०॥
શરીર છોડીને જતા, શરીરમાં રહેતા કે વિષયોનું સેવન કરતા, આ ત્રણ ગુણોથી યુક્ત થયેલાને અજ્ઞાની જાણતા નથી તે તત્વને ફક્ત વિવેકશીલ તથા જ્ઞાનીજ જ્ઞાનના નેત્રોથી જોઈ શકે છે.
यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितम् ।
यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतसः ॥१५- ११॥
અનેક પ્રયત્નો પશ્ચાત યોગીઓ પોતાનામાં સ્થિત આ પરમ તત્વને જાણી શકે છે પણ જેમનું અંતઃકરણ શુધ્ધ નથી તેવા અજ્ઞાનીઓ તો યત્નો કરવા છતાં તેને નથી જાણી શક્તા
यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् ।
यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् ॥१५- १२॥
સૂર્યનું તેજ જે આખા જગતને પ્રકાશિત કરે છે, તથા ચંદ્રમાં નું તથા અગ્નિનું તેજ છે તેને તું મારૂં જ તેજ જાણ
गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा ।
पुष्णामि चौषधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः ॥१५- १३॥
પૃથ્વીમાં પ્રવેશી હું જ સર્વ ભૂતોને ધારણ કરૂં છું તથા અમૃતમય ચંદ્રમાં થઈ બધી વનસ્પતિઓને પુષ્ટ કરું છું.
अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः ।
प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ॥१५- १४॥
મનુષ્યના શરીરમાં રહેલો પ્રાણ અને અપાનના સંયોજન સ્વરૂપ વૈશ્વાનર અગ્નિ થઈને ચારેય પ્રકારના અન્નને પચાવું છું.
सर्वस्य चाहं हृदि संनिविष्टो
मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च ।
वेदैश्च सर्वैरहमेव वेद्यो
वेदान्तकृद्वेदविदेव चाहम् ॥१५- १५॥
બધા પ્રાણીઓના હ્રદયમાં બિરાજીત અંતર્યામી હું જ છું અને મારાથીજ સ્મૃતિ, જ્ઞાન અને અપોહન થાય છે, વેદો વડે જાણવા લાયક હું જ છું અને વેદાંતનો કર્તા પણ હું જ છું.
द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च ।
क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते ॥१५- १६॥
આ સંસારમાં અવિનાશી અને નાશવંત એમ બે પ્રકારના પુરૂષો છે, બધા પ્રાણીઓમાં શરીર નાશવંત અને આત્મા અવિનાશી છે.
उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः ।
यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः ॥१५- १७॥
ઉત્તમ પુરૂષ એ જ છે જે ત્રણેય લોકોમાં પ્રવેશ કરી બધાનું ધારણ પોષણ કરે છે, તેને અવિનાશી પરમેશ્વર કે પરમાત્મા કહેવાય છે
यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः ।
अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः ॥१५- १८॥
હું નાશવંત જીવથી તો અલગ જ છું અને અવિનાશી જીવાત્માઓમાં ઉત્તમ છું એટલે વેદોમાં ય પુરૂષોત્તમ નામે પ્રસિધ્ધ છું.
यो मामेवमसंमूढो जानाति पुरुषोत्तमम् ।
स सर्वविद्भजति मां सर्वभावेन भारत ॥१५- १९॥
હે ભારત! આમ જે મને તત્વ રૂપ પુરૂષોત્તમ જાણે છે તે ફક્ત મારા, વાસુદેવ પરમેશ્વરના જ ભજન કરે છે
इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयानघ ।
एतद्बुद्ध्वा बुद्धिमान्स्यात्कृतकृत्यश्च भारत ॥१५- २०॥
હે નિષ્પાપ અર્જુન, આ પ્રકારે અત્યંત ગોપનીય શાસ્ત્ર મારાથી તને કહેવાયું છે, તેને જાણી મનુષ્ય જ્ઞાનવાન અને કૃતાર્થ થાય છે.
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे पुरुषोत्तमयोगो नाम पञ्चदशोऽध्यायः ॥ १५ ॥
મિત્રો, મેં મારી સમજ પ્રમાણે અને ઉપલબ્ધ સ્ત્રોત્રોમાંથી આ શ્રીમદ ભાગવતગીતાના પંદરમાં અધ્યાયનો સાર અત્રે લખ્યો છે, આશા છે આપ સર્વેને એ ઉપયોગી નીવડશે.
અસ્તુ – જીગ્નેશ અધ્યારૂ
| Print article | This entry was posted by AksharNaad.com on September 10, 2008 at 12:01 AM, and is filed under ધર્મ અધ્યાત્મ, પ્રાર્થના, ગરબા અને ભજન. Follow any responses to this post through RSS 2.0. You can leave a response or trackback from your own site. |












about 1 year ago
ખુબ સરસ ..
about 1 year ago
during my school days i had taken part in “gita pathan” competition.i got first prize.15 16 adhyay.”maiya veshya manoye mam nitya ukta upasate”
about 1 year ago
૯/૧૧ ની દુ;ખદ યાદમા અહીં પણ કેટલીક જગ્યાએ ૧૫મા અધ્યાયનૂં પઠન થાય છે
about 1 year ago
તમે “ગીતા”ની આટલા નજીક છો એ જ ખુબ પ્રસન્નતાની વાત છે.
about 6 months ago
ધન્યવાદ ભાઈશ્રી, હુ નાનો હતો અથવા અસમજણો હતો ત્યા સુધી ૪૦ વરસ સુધી મને ગીતા નો’તી સમજાતી પણ જ્યારથી બાઈબલ વાંચી છે, ત્યારેથી મને ગીતા પણ સમજાવા લાગી છે પણ વાત જાણે એમ છે કે વિષ્ણુને કોઈએ જોયા હોય એવા કોઈ ત્યારના જીવીત માણસોનુ લખાણ યાદ નથી આવતુ, મહર્ષિ વ્યાસજીએ મહાભારત લખ્યુ ને લખનાર ગણેશ્જી, શુ તમને સાચુ લાગે છે, આપણને આત્મા કોણ આપે છે વિષ્ણુ કે પરમાત્મા? કેમ કે પરમાત્મા ની ઓળખ તો ગીતા માહાત્મ્યના પાઠમાં જ કરેલ છે કે લક્ષ્મીને પરમાત્માની ઓળખ કરાવવા માટે જ વિષ્ળુએ ગીતાની ઉત્પત્તી કરી હતી જે ગોરખ્પુર પ્રેસની હિંદી રુપાંતર રૂ.૧૨/- માં ખરીદેલ વાચેલી અને પરમાત્મા તો નિરાકાર, અદશ્ય, અસ્પર્શી, અસુગંધી, અભીંજનીય, અસળગાનીય, અવર્ણનીય અને અકથનીય છે તો વિષ્ણુ કોણ છે? હા પુરૂષોત્તમપુરૂષના જે લક્ષણો કહ્યા છે એ આજ સુધી એક જ મનુષ્યમાં મને દેખાય છે અને એ પ્રભુ યીશુ જ છે અને બીજા નંબરે સંત જ્ઞાનેસ્વર મહારાજ ત્રીજા નમ્બરે સાંઈ બાબા અને પછી કોઈ જ નથી, અગર આ ત્રણ મહાપુરુષોના ચરીત્ર વાંચો તો વિષ્ણુ પણ એમની સામે ફીકા પડી જાય એટલા નિર્દોષ હતા આ ત્રણે મહાપુરુષો અને એ ત્રણે મા અતિ પરમપુરૂષ તો પ્રભુ યીશુ જ છે જે આખા જગત પર આજે રાજ કરે છે. કેમ ખરુ કે ખોટું?