જનરેશન ગેપ (વૃધ્ધ મા-બાપ અને યુવાન પુત્ર-પુત્રીઓ) – પી. કે. દાવડા 7


આ વિષય આજે પણ પ્રાસંગિક છે. આપણે આસરે અર્ધી સદી થી જનરેશન ગેપની વાતો કરતા આવ્યા છીએ પણ તેની ખરી અસર અત્યારે જોવા મળે છે. ગેપ વધે છે અને વધારે ઝડપથી વધતો જાય છે. એના અનેક કારણો છે, માનવ જાતીની ઝડપી પ્રગતિ આમાનું એક મુખ્ય કારણ છે. દરેક પેઢી તે સમયમા વર્તમાન સમાજની નકલ કરે છે, થોડી દલીલો અને થોડી તાણ અનુભવ્યા પછી તેમના જીવન દરમ્યાન થયેલા સામાજીક ફેરફારોને અપનાવી લઈ અને તે આવતી પેઢીને વારસામા આપે છે.

બદલાતી શિક્ષણ પધ્ધતિ

આમા સૌથી મોટી અસર બદલાતી શિક્ષણ પધ્ધતિની છે. પચાસ વરસ પહેલા શિક્ષણ જીવનના મૂલ્યો પર આધારિત હતું. શિક્ષણ સાથે સંસ્કાર સિંચન થતું. વડિલોને માન આપવાની વાતને ખૂબ જ મહત્વ આપવામા આવતું. આજનું શિક્ષણ ફક્ત જ્ઞાન વધારે છે.જ્ઞાન વધારવા ઉપર એટલું જોર આપવામા આવે છે કે બાળકને બીજી ચીજો શિખવવા માટે અવકાશ જ રહેતો નથી. હા, થોડી શિસ્ત અને “મેનર્સ” જરૂર શિખવવામા આવે છે.

લુપ્ત થતા સંયુક્ત કુટુંબો

સંયુક્ત કુટુંબોમા સંબંધો અને સંબંધોનો અર્થ આપમેળે સમજાઈ જતું. વડિલો સાથે કેમ વરતવું એ આપમેળે સમજાઈ જતું. સંયુક્ત કુટુંબમા સબળા લોકો નબળા લોકોને વગર માગ્યે મદદ કરતા, દાખલા તરીકે વૃધ્ધોને ઊઠવા બેસવાની તકલીફમાં જે હાજર હોય તે હાથ ઝાલતા. કુટુંબમા કોઈ મતભેદ થાય તો વડિલો સમજદારીથી અને કોઈને પણ અન્યાય કર્યા વગર હલ કરતા. આમ કરવાથી વડિલો પ્રત્યેનો આદર-ભાવ વધતો.

આર્થિક સ્વતંત્રતા

બીજી એક મહત્વની વાત યુવાનોની આર્થિક સ્વતંત્રતાની છે. અગાઉ સંતાનો મોટા થાય એટલે કુટુંબના વ્યવસાયમા જોડાઈ જતા. આ વ્યવસાયની બાગદોર કુટુંબના મુખિયાના હાથમા રહેતી. યુવાનોના હાથમા જરૂરત પૂરતા પૈસા રહેતા અને વડિલોને એનો હિસાબ આપવો પડતો. આજનો યુવાન ભણી ગણીને સ્વતંત્ર વ્યવસાય અથવા નોકરી કરે છે. પોતાની આવક પોતાની પાસે રાખે છે અને પોતાની મરજી પ્રમાણે વાપરે છે.

આંતર જ્ઞાતિય અને આંતર જાતિય લગ્નો

બીજી એક અગત્યની વાત આંતર જ્ઞાતિય અને આંતર જાતિય લગ્નો છે. પોતાની જ્ઞાતિમા પરણીને આવેલી કન્યાને કુટુંબના રીત-રિવાજની સમજ હોય છે. સાસુ-સસરા, જેઠ-જેઠાણી, દિયર, નણંદ વગેરે સાથે કેમ વરતાય એની એને સમજ હોય છે. બીજી જ્ઞાતિ અથવા બીજી જાતીમાંથી આવેલી વ્યક્તિને આ બધું શિખવા સમજવામા સમય લાગે છે.

પોતાના વર્તુળમા આગવી છાપ

યુવાનો અને તેમના મા-બાપ વચ્ચેના તણાવના બીજા પણ અનેક કારણો છે. આજના યુવાન યુવતિઓ પોતાના મિત્ર વર્ગમા પોતાની એક છાપ ઊભી કરે છે, અને તેને જાળવી રાખવા માટે સજાગ હોય છે. પોતાના આ મિત્ર વર્ગની હાજરીમા મા-બાપ એવું કંઈ ન બોલી બેસે કે એવું કંઈ ન કરી બેસે કે જેનાથી એમની આ છાપ પર અસર થાય એની તાણ એમને હંમેશ રહેતી હોય છે.

યુવક-યુવતીઓ અને તેમના મા-બાપ વચ્ચે વધતા જતા તણાવના બીજા અનેક કારણો ઉમેરાતા જાય છે. સહેજે સવાલ ઊઠે છે કે આનો ઉપાય શું છે? Back to basics તો શક્ય જ નથી. તો પછી શું યુરોપ અમેરિકાની સામાજીક જીવન શૈલી અપનાવી લેવી? આ શૈલીમા બાળકો ભણી ગણીને મોટા થઈ જાય એટલે એમને વણમાગી સલાહ આપવાનું બંધ કરવું, એમની દિનચર્યામાં માથું ન મારવું, પોતાની કમાઈના પૈસા કેવી રીતે ખર્ચ કરે છે એની ફીકર કરવાનું છોડી દેવાનું, પતિ-પત્નીના આપસના સંબંધો અને એક બીજા સાથેના વર્તનમા માથું નહિં મારવાનું, પોતાના બાળકોને કેવું શિક્ષણ આપવું કેવી manners શેખવવી એ એમના પર જ છોડી દેવાનું, વગેરેનો સમાવેશ થાય છે. આવું કરવાથી કદાચ યુવક-યુવતિઓ પોતાના મા-બાપને વધારે માન આપસે અને બે પેઢી વચ્ચેની અથણામણો ઓછી થશે.

આ વિષય પર લખવાનું કારણ એક જ છે અને તે કે આ વિષય આપણા બધાને લાગુ પડે છે. આનું નિરાકરણ આપણે સૌએ ભેગા મળીને કરવાનું છે,  a common problem needs a common solution.

-પી. કે. દાવડા


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “જનરેશન ગેપ (વૃધ્ધ મા-બાપ અને યુવાન પુત્ર-પુત્રીઓ) – પી. કે. દાવડા

  • hardik yagnik

    લેખનો વિષય જેટલો આર્કષક છે તેટલો લેખ સરસ ન લાગ્યો. દાવડા સાહેબ જો થોડૂ ઘણૂ અંદર વિષયમાં ઉતારે તો મઝા આવે. આ મારુ વ્યક્તિગત માનવું છે.

    • P.K.Davda

      શ્રી હાર્દિકભાઈ,
      મારા મોટા ભાગના લખાણો વિષયની ટુંકમા છણાવટ કરતા હોય છે. એનો વિસ્તાર કરવાનું હું વાચકો ઉપર છોડી દઉં છું. બ્લોગમા લાંબા લેખ વાંચવાનું લોકો ટાળે છે એવું મારૂં માનવું છે, એટલે પણ હું વાત ટુંકમા જ કહી દેવાની કોશીશ કરૂં છું.
      આપના પ્રતિભાવ બદલ આભાર.

  • nisi

    દરેક ને પોતનુ આગવુ અસ્તિત્વ અને પોતાનિઆલગ દુનિયા છ. આથિ મારુ પણ માનવુ છએ કે બિજ મા માથ મારવુ ના જઈએ. lets live their life them selves and we should leave our selves and both are happy

  • Harshad Dave

    વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકીન ઉસે ઇક ખૂબસૂરત મોડ દે કર છોડના અચ્છા…સંબંધ વન-વે હોય તો ટકે શી રીતે. સંબંધમાં ‘કારણ’ ન હોય…હદ.

  • Ashok Vaishnav

    દરેક પેઢીની વિચારસરણીમાં તફાવત તો હોવાનો જ. જો આપણે તેને અંતરનાં સ્વરૂપમાં જોઇએ તો કદાચ તે પાર ન કરી શકાય તેવી ખાઇ દેખાય. પરંતુ શ્રી દાવડા સાહેબે જે કેટલાંક પરિબળો વર્ણવ્યાં છે તે પરિબળોને વાસ્તવિકતા તરીકે સ્વિકારી લઇએ, તો એકબીજાના દ્ર્ષ્ટિબિંદુને સમજી શકવાની સહિષ્ણુતા કેળવવી મુશ્કેલ ન પણ પરવડે.
    અને જો તેમ ન જ થઇ શકે, તો આ તફાવત રહેશે તે તો સ્વિકારીને બન્ને પેઢી પોતપોતાનાં જીવનની રાહ પોતાને જેવું અને જેટલું આવડે તે રીતે પાર કરે એ વધારે ઇચ્છનીય કહેવાય ને?