આ ફક્ત એક મરઘાની વાત છે… – ઉદયન ઠક્કર 8


મસ્જિદબંદરમાં મણિલાલ નામે
એક બદામી રંગનો મરઘો રહે છે.
મણિલાલ નાનાં મરઘાંઓને બિવરાવે છે.
મરઘીઓ અગાડી છાતીમાં હવા ભરીને બાંગ મારે છે,
ખાધેપીધે સુખી છે, ટૂંકમાં.
મણિલાલ મરઘાને ખબર નથી
કે પોતે થોડા જ દિવસોમાં ખવાઈ જવાનો.

પણ ધારો કે એને ખબર બી હોય,
અને એ ગમે તેમ ભાગી બી જાય,
તો ચાર ગલ્લી દૂર ડોંગરીમાં એને બીજો કોઈ પકડી પાડશે,
અરે મુંબઈની બારે ભાગી જાય તો સીમ ને ખેતરોમાં ઝાલશે,
જંગલમાં ભાગે તો ભીલડાં ને શિયાળવાં દાંત ભેરવશે,
દરિયામાં ડાઈવ લગાવી તરતો તરતો ઈન્ડિયા છોડી દે,
તો રોમ ને રંગૂનમાં રંધાશે,
માલિક સામે લડશે તો ગળું ટૂંપશે,
ખુશામદ કરતો રહેશે તોય કાપશે,
સંતાઈ છુપાઈ જશે તો ગોતી ગોતીને મારી ખાશે.
કહો તમે જ કહો,
મણિલાલ જાય ક્યાં?
મણિલાલ કરે શું?

– ઉદયન ઠક્કર.

શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળા સંપાદિત ‘આપણી કવિતાસમૃદ્ધિ’ માંથી સાભાર.

શ્રી ઉદયન ઠક્કરનું પ્રસ્તુત સચોટ અને સુંદર અછાંદસ એક સામાન્ય વાતને – જીવનની રોજીંદી ઘટનાને એક મરઘાના વિચારબિંદુથી વિચારપ્રેરક રીતે પ્રસ્તુત કરે છે. જો કે વાત ફક્ત એક મણિલાલ નામના મરઘાની છે, પણ એ ફક્ત તેની પણ નથી. અહીં કરેલી વાત કોની છે તે સમજવું વાચક પર છોડીને કવિ છેલ્લે એક સવાલ પૂછે છે – મણિલાલ જાય ક્યાં? મણિલાલ કરે શું? એ ફક્ત એક મરઘાની કથની નથી, ક્યાંક તેનું પરિપ્રેક્ષ્ય તેથી વિશાળ થઈ જાય છે. માણવી ગમે તેવી શ્રી ઉદયન ઠક્કરની આ સરસ વિચારપ્રેરક રચના શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળા સંપાદિત ‘આપણી કવિતાસમૃદ્ધિ’ માંથી સાભાર લીધી છે.


Leave a Reply to vimalaCancel reply

8 thoughts on “આ ફક્ત એક મરઘાની વાત છે… – ઉદયન ઠક્કર

  • Suresh Shah

    દુનિયામેં આયે હૅ તો જીના હી પડેગા.

    મણિલાલ જાય ક્યાં?

    જાયે તો જાયે કહાં?

    ખૂબ ગમ્યુ. આભાર.

  • amirali khimani

    સરસ વાર્તાછે.શ્રિ હ્ર્શ્દ દવેનિ વાત બરાબર્છે. પણ એક ત્રુટિ દેખાય છે. મરઘિ ક્યારેય બાન્ગ દેતિ નથિ. બાન્ગ તો કેવ્ળ મર્ઘોજ દે છે. પ્ણ વાર્તા સ્રર્વ્સ છે અને વિચાર વા જેવિ તો છેજ્. જિવન ના ઝ્ન્જાવાતો નો સામ્નો તો કરવો પડે છેજ દરેક દેશ અને દરેક સમાજ મા અનેક સ્મ્સયાનો સામ્નો કરવોજ પડે છે.

  • Harshad Dave

    મણિલાલ મરઘાના માધ્યમથી માનવીની પરિસ્થિતિ દર્શાવી છે. ભ્રષ્ટાચાર, મોંઘવારી, ઘટતી જતી સંવેદનાશીલતા, માનવતા, લાગણી, ભાવના, પ્રેમ, સ્નેહ, વહાલ, મમતા વચ્ચે ગેરસમજના સમુદ્રમાં કૂદી પડતા માનવીની પરવશ, લાચાર સ્થિતિમાં અજ્ઞાનનું ઈંધણ બળતામાં સમિધ જેવું છે. પરંતુ દુનિયામે હમ આયે હૈ તો જીના હી પડેગા, જીવન હૈ અગર ઝહર તો જીના હી પડેગા… -હદ.

  • vimala

    જિવનની વસ્ત્વિક્તા રજુ કરતુ રૂપક કાવ્યિ.આભાર ઊદયન ભઐ અને અક્ષરનદ નો.