પૂર્વાધ વાંચો અહીં, ક્લિક કરો મારા મૃત્યુની થોડીક ક્ષણો પહેલા (ભાગ ૧)

*********

હું ચતોપાટ પડ્યો છું, મારા બધા કપડા, મારી ટાઈટનની ઘડીયાળ, મારા હાથની વીંટીઓ,  મારા ગળાનો સોનાનો ચેઈન બધુંય એક પછી એક ઉતરી રહ્યું હતું અને છાણના લીંપણ પર હવે મને મૂકવામાં આવી રહ્યો હતો.

રોજ મને “તમે નકામો કલબલાટ ન કર્યા કરો, તમારે જોઈતું હોય તે લો, પણ વચ્ચે ન આવો” કહેનારો મારો પુત્ર પોકે પોકે રડી રહ્યો હતો. તેના આંસુ ખુશીના છે કે દુઃખના તે સમજવા જેટલો હું અણસમજુ હતો.

મૃત્યુના દૂતે મને કહ્યું “ચાલો, આ બધુંય તો સામાન્ય છે.”

મેં કહ્યું “તમારા માટે સામાન્ય હોઈ શકે…હું તો પહેલી વાર મરી રહ્યો છું.”

તે મારી સામે જોઈ હસ્યો “ખરેખર?”

“હા કદાચ” હું એવું જ કાંઈક બબડ્યો પણ મારું ધ્યાન તો નીચે જ હતું…આ બધામાં બે જ લોકો ખરેખર દુઃખી હતા,મારી પુત્રી અને મારી પત્ની…..અને તે બે રડી રહ્યાં ન હતાં.

ઘણાય હવે સફેદ લેંઘા ઝભ્ભામાં આવી રહ્યા હતા, એમ્બ્યુલન્સ આવી ગઈ હતી, મારા હાથમાં લાડવા મૂકાઈ રહ્યા હતા અને કાનમાં મારો પૌત્ર કાંઇક મંત્ર બોલી રહ્યો હતો. પણ ત્યાં સાંભળવા વાળુ કોણ હતું? કેટલાક તો હજીય ચા પીવામાં વ્યસ્ત હતા. તેમને સ્મશાન સુધી આવવાનું હતુ એટલે કદાચ…..

મને હવે ખૂબ મુશ્કેટાટ બાંધવામાં આવી રહ્યો હતો….”અરે મારો હાથ તો જુઓ…..” દોરીની નીચે દબાતા મારા હાથ સામેં મે દયાથી જોયું, પણ હવે એ મારો હાથ ન હતો….મારી પત્ની મારી સામે જોઈ રહી…”શું જુએ છે?” હું મનોમન બબડ્યો……

મારો પુત્ર મનમાં ગણતરી કરી રહ્યો હતો, “દસ હજાર બારમાં તેરમા માટે વાપરવા પૂરતા થઈ રહેશે…..ખોટો દેખાડો કરવાનો શો મતલબ?” મારી પુત્રી વિચારી રહી હતી એ દિવસો જ્યારે મારી આંગળી પકડી તે ચાલતી…અમે ચાલતા ચાલતા વાતો કરતા ક્યાંય નીકળી જતા, હું અને મારા બાળકો…..હું ય એ વિચારી થોડોક લાગણીશીલ થઈ ગયો પણ હવે ક્યાં હતી આંખો કે આંસુ આવે? કે ક્યાં હતુ હ્રદય કે દુખી થાય…?? મારી પુત્રવધુ વિચારી રહી હતી કે બાપુજીના પી એફ ના પૈસા ક્યારે આવશે….અને મારો જમાઈ વિચારતો હતો કે ભાગલા ક્યારે પડશે? ….. અરે આ શું….હું બધાના મન વાંચતો હતો …

હવે હું સ્મશાન જવા એમ્બ્યુલન્સમાં ગયો….મારી પત્નીની આંખમાં થી આંસુ નીકળ્યા અને એમ્બ્યુલન્સ જતા સાથે જ એક તરફ તે બેસી ગઈ…..કેટલાક લોકો તેને સાંત્વના આપવા ભેગા થયા પણ તે હવે વિરક્ત હતી. ચિતા પર મૂકાયા પછી, અગ્નિ અપાયા પછી , અસ્થિ વીણાતી વખતે….કે ઘડામાં ભરાતા મને કોઈ લાગણીઓ ન થઈ….દીકરો કહે “પરમદીવસે આપણે મહીમાં બાપુજીના અસ્થિ વહાવી દઈશું. ”

દીકરી કહે ગંગા લઈ જઈએ….તો તે કહે…”રજાઓ નથી બે’ન, અને હવે આમેય અમારે ઈન્ક્રીમેન્ટ આવવાનું છે”…..

“ચાલો હવે દોસ્ત…..હવે તો આ માયા છોડો…હવે તો સમજો કે જે મારૂ મારૂ કરીને આખું જીવન વીતાવી દીધું…તેમાં તમારૂં કાંઈ નહોતું……” દૂત બોલ્યો

“તો હવે?”

“હવે નવો જન્મ…….પાપ પુણ્યનો બાકીનો હિસાબ પાછો પૂરો કરવાનો નવો મોકો……”

“એટલે ફરી પાછો જન્મ? પાછો બાળક બનવાનું? આહ…..હું જાણે થાકી ગયો પણ આ હું ન હતો…આ હતો મારો આત્મા”

“હા…પાછો જન્મ…..તમે પૃથ્વી પર સમજતા નથી કે જે ભગવાનના નામ પર કે જે ધર્મના નામ પર તમે આખુંય જીવન ખર્ચી નાખો છો તે ધર્મ તમને પરમ પરમેશ્વરની જ પ્રાર્થના કરવાનું શીખવે છે, આત્મા કહો કે પરમાત્મા કહો કે કહો પ્રભુ એ સઘળુ તમે પોતે…તમારામાં જ છે…તેને પડળોમાં થી કાઢો…પણ તમને પોતાના કરતા બીજાઓની વાતો વધારે સાંભળવી ગમે છે….અને સાંભળ્યા પછી ભૂલી જવી તો તમારો સ્વભાવ છે…..અને એટલેજ આ જન્મ મૃત્યુના બંધનોમાંથી કદી મુક્ત થઈ શક્તા નથી…..જ્યારે “હું” માંથી નીકળી “સ્વ” ને ઓળખશો ત્યારેજ મુક્ત થઈ શક્શો…ત્યાં સુધી આમ જ ફરતા રહો…..

ચાલો, તમારા નવા જન્મનો વખત થઈ ગયો…..”

ધરતી પર સંધ્યાનો કેસરી પ્રકાશ પ્રસરી રહ્યો અને ક્યાંક નવજાતનો રડવાનો અવાજ ગૂંજી ઉઠ્યો…

 - A Jignesh Adhyaru Creation.

Share this article... spread the word
  • Digg
  • StumbleUpon
  • Facebook
  • Yahoo! Buzz
  • Twitter
  • Google Bookmarks
  • Orkut
  • del.icio.us
  • Google Buzz
  • Technorati